૦૧/૧૭/૨૦૧૨ ગાથા ૩૦ – છ યોગબીજની પ્રાપ્તિના કારણો
ગાથાર્થ: ભાવમલ ઘણો ક્ષીણ થાય ત્યારે યોગબીજ પ્રાપ્ત થાય છે, કારણકે અવ્યક્ત ચૈતન્યવાળો પુરુષ ક્યારે પણ મોટું કાર્ય કરી શક્તો નથી.
ચિત્તરૂપી ભૂમિમાં યોગબીજનું વાવેતર-રોપણ ભાવમલ બહુક્ષીણ થયો હોય ત્યારે જ થાય છે.
ભાવમલ એટલે કે જીવમાં રહેલી કાર્મણ વર્ગણા અને શારીરિક વર્ગણાઓનાં પુદગલોને ગ્રહણ કરીને સંબંધ કરવાની યોગ્યતા. કોઈપણ બે પદાર્થોમાં સંબંધ થવામાં બન્નેમાં યોગ્યતા રહેલી હોય છે. જેમકે લોટ અને પાણી, લોટમાં બંધાવાપણાની અને પાણીમાં બાંધવાપણાની યોગ્યતા રહેલી છે. તો જ પાણીથી લોટ બંધાય છે. એ જ પાણી લોટને બદલે રેતીને ન બાંધી શકે, અને એ જ લોટ પાણીને બદલે અગ્નિથી ન બંધાય. તેવી રીતે કાર્મણ વર્ગણાનાં પુદગલોમાં અને શારીરિક પુદગલોમાં સંબંધ પામવાની અને જીવમાં તેઓનો સંબંધ કરવાની રાગાદિમય જે યોગ્યતા છે તે જ ભાવમલ છે.
જીવ અને કર્મના સંબંધની યોગ્યતા અનાદિકાળની અને સહજ (સ્વાભાવિક) છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ કર્મબંધના હેતુભૂત આત્મપરિણામ છે. આત્માના દોષો જ ભાવમલ છે. અને તે આત્માને મલીન કરે છે માટે મલ છે.
No comments:
Post a Comment