Tuesday, April 17, 2012

૧/૧૦/૧૨ - ગાથા ૨૯ પાનું ૧૪૧ થી ૧૪૩ ગાથા ના અંત સુધી.

મિત્રાદ્રષ્ટિમાં આવેલા જીવનું ચિત્ત સર્વે યોગબીજના શ્રવણથી અતિશય રંગાઈને તેમાં સ્થિર આશયવાળી પ્રતિપત્તિ દિવસે દિવસે વધે છે,ઘટતી નથી, જે બાજુ વળી છે ત્યાંથી પાછી સંસારની મોહવાસના તરફ વળતી નથી। મોહદશા ભૂલીને મુક્તિની અભિલાષા વાળો સંવેગ -નિર્વેદ ભાવ તીવ્ર થાય છે. ક્યારેક સંજોગવશ (સમય,સ્વાસ્થ્ય,કે ગુરુનો યોગ ન હોય)યોગબીજનું શ્રવણ,સેવન ન કરી શકે તો પણ આ આદરવા જેવું છે, બોધીબીજનું પરમ કારણ છે તેવો અત્યંત શુદ્ધ અને મહાન ઉદયને આપનારો ઉપાદેયભાવ થાય છે. આવો પરિશુદ્ધ એટલે સંસારિક સુખ અને ફળપ્રાપ્તિની અપેક્ષા વિનાનો અંતરંગ ઉપાદેયભાવ આત્માનું ઉર્ધ્વરોહણ શરૂ કરાવી મોક્ષ-પ્રાપ્તિ નું સાધન થઇ જાય અને અલ્પકાળમાં જ મુક્તિ અપાવે છે. આમ યોગબીજનું શ્રવણ, સેવન અને તેના પ્રત્યેનો ઉપાદેયભાવ થવો એ કઈ નાની વાત નથી પણ ઘણી મોટી પ્રશસ્ત વાત છે, મહોદય કરાવનાર છે. (મહોદય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ના ઉદયથી મોક્ષ પેહલાના થોડા ભવોમાં દેવલોકના સુખ મળે તો પણ એ આત્મા લેપાય નહી અલિપ્ત જ રહે અને આત્માર્થ સાધવામાં બાધા ના પડે.) યોગબીજનું શ્રવણ, સેવન અને તેના પ્રત્યેનો ઉપાદેયભાવ થવાથી કર્મોની નિર્જરા થાય અને યોગબીજની વૃદ્ધિનું કારણ હોવાથી યોગબીજ જ કહેવાય.
મિત્રાદ્રષ્ટિમાં આવેલા આત્માને નીચે મુજબ યોગબીજ આવે છે.
૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ
૨) સદગુરૂ પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ
૩)દેવ અને સદગુરુની પૂજ્યભાવપૂર્વક સેવા-વૈયાવચ્ચ, ભક્તિ, ઉપાસના
૪) સહજપણે થતો જ્ઞાનપૂર્વક ભવનો ઉદ્વેગ
૫) દ્રવ્યથી અભિગ્રહો કરવા, વ્રત-નિયમ કરવા ,દેશવિરતી-સર્વવિરતી લેવી
૬)સુન્દર સિદ્ધાંતો લખવા-લખાવવા , વાંચવા- વંચાવવા , પ્રકાશિત કરવા-કરાવવા
આ એકેક યોગબીજ પરમોત્તમ અમૃત છે. દેવ,ગુરૂ અને શાસ્ત્રની ભક્તિ એ યોગપ્રાપ્તિનું અવન્ધ્ય કારણ છે માટે યોગબીજ જ છે.
દેવ આપણા આત્માના સાધ્ય એવા શુદ્ધ સ્વરૂપના પ્રતિબિંબ છે માટે ઉપકારી છે.
ગુરૂ પોતે સુંદર જ્ઞાન અને આચરણ વડે પરમાત્માના વચનોનું અમૃતપાન કરાવે માટે ઉપકારી છે.
શાસ્ત્ર પૂર્ણપણે મુક્તીમાંર્ગની દિશા સૂચવે છે માટે ઉપકારી છે.
આ ત્રણેય ભક્તિપદ જે યોગબીજ છે તે કરવાથી દુર્લભ મનુષ્યભવ સફળ થાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભા ના મિચ્છામિ દુક્કડમ

No comments:

Post a Comment